Philippians 1

1ખ્રિસ્ત ઈસુમાં ફિલિપીમાંના સર્વ સંતો, અધ્યક્ષો તથા સહાયકારીઓ, તે સર્વને ઈસુ ખ્રિસ્તના સેવકો પાઉલ તથા તિમોથી લખે છે: 2ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.

3પ્રથમ દિવસથી તે આજ સુધી સુવાર્તામાં તમારા સહકારને માટે, 4નિત્ય આનંદ સાથે તમો સર્વને માટે મારી પ્રાર્થનામાં વિનંતિ કરતાં, 5જયારે જયારે હું તમને યાદ કરું છું ત્યારે ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું. 6જેમણે તમારામાં સારાં કામની શરૂઆત કરી તે, ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.

7તમો સર્વ વિષે એ પ્રમાણે માનવું મને યોગ્ય લાગે છે; કારણ કે મારાં બંધનોમાં અને સુવાર્તાની હિમાયત કરવામાં તથા તેને સાબિત કરવામાં, તમે બધા કૃપામાં મારા સહભાગી હોવાથી, હું તમને મારા હૃદયમાં રાખું છું. 8કેમ કે હું ઈસુ ખ્રિસ્તની કરુણાથી તમો સર્વ ઉપર કેટલો બધો પ્રેમ રાખું છું, તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.

9વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ક્રમે ક્રમે વધતો જાય; 10જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એમ તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ; 11વળી ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધે તે માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.

12ભાઈઓ, મને જે જે દુઃખો પડ્યાં, તે સુવાર્તાને [વિધ્નરૂપ થવાને બદલે તેનો] પ્રસાર થવામાં સહાયભૂત થયાં, તે તમે જાણો એવું હું ઇચ્છું છું; 13કેમ કે ખ્રિસ્તને લીધે મારાં જે બંધનો છે તે આખા રાજયદરબારમાં તથા બીજે બધે સ્થળે પ્રસિદ્ધ થયાં; 14અને પ્રભુના સમુદાયના કેટલાક ભાઈઓએ મારાં બંધનોને લીધે વિશ્વાસ રાખીને નિર્ભયપણે પ્રભુની સુવાર્તા [વિષે] બોલવાની વિશેષ હિંમત રાખી.

15કેટલાક તો અદેખાઇ તથા વિરોધથી અને કેટલાક સદ્દભાવથી ખ્રિસ્ત [ની સુવાર્તા] પ્રગટ કરે છે: 16પહેલા તો મારાં બંધનમાં મારા પર વિશેષ સંકટ લાવવાના ઇરાદાથી, શુદ્ધ મનથી નહિ, પણ પક્ષાપક્ષીથી ખ્રિસ્તની વાત પ્રગટ કરે છે; 17પણ બીજા, સુવાર્તા વિષે પ્રત્યુત્તર આપવા માટે હું નિર્મિત થયો છું, એવું જાણીને પ્રેમથી પ્રગટ કરે છે.

18તો એથી શું? દરેક રીતે, ગમે તો દંભથી કે સત્યથી, ખ્રિસ્ત [ની વાત] પ્રગટ કરવામાં આવે છે; તેથી હું આનંદ પામું છું અને પામીશ. 19કેમ કે હું જાણું છું કે, તમારી પ્રાર્થનાથી તથા ખ્રિસ્તના આત્માની સહાયથી, એ મારા ઉધ્ધારને માટે ઉપયોગી થઈ પડશે, તે હું જાણું છું.

20એ પ્રમાણે મને વિશ્વાસ, અપેક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ બાબતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે મૃત્યુથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે. 21કેમ કે મારે માટે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે.

22પણ દેહમાં જીવવું તે જો મારા કામનું ફળ હોય તો મારે શું પસંદ કરવું, તે હું જાણતો નથી; 23કેમ કે આ બે બાબત વચ્ચે હું ગૂંચવણમાં છું: [દેહમાંથી] નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમ કે તે વધારે સારું છે; 24તોપણ [મારે] દેહમાં રહેવું તમારે માટે વધારે અગત્યનું છે;

25[મને] ભરોસો હોવાથી, હું જાણું છું કે હું રહેવાનો અને તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને માટે હું તમારાં બધાની સાથે રહેવાનો; 26જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિષેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય. 27માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર રહું તોપણ તમારા વિષે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો;

28અને વિરોધીઓથી જરા પણ ગભરાતા નથી: એ તેઓને માટે વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો ઉધ્ધારની નિશાની છે અને તે વળી ઈશ્વરથી છે; 29કેમ કે ખ્રિસ્ત પર માત્ર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુઃખ પણ સહેવું, તેથી ખ્રિસ્તને સારુ આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે; જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે અને હાલ મારામાં થાય છે એ હમણાં તમે સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે.

30

Copyright information for GujULB